Tuesday, July 24, 2012

ઉપદેશ કથા

એક સંતનો આશ્રમ હતો એમાં સંત અને એમના કેટલાક શિષ્યો રહેતા હતા. રોજ સવારે પૂજા-પાઠ કરવા, શિષ્યોને જ્ઞાન આપવું, ગામલોકોને બે સારા શબ્દો કહેવા અને થોડું ઘણું વૈદું જાણતા એટલે
જંગલમાંથી ઔષધિઓ લાવી એના ઓસડિયાં બનાવી, દીન-દુખિયાંને આપવાં આ મહારાજની દિનચર્યા.

એવામાં એક દિવસ ક્યાંકથી બિલાડીનું એક અનાથ બચ્ચું મ્યાંઊં...મ્યાંઊ..કરતું આવી ચડ્યું, આ તો સંતનો આશ્રમ, એને પણ આશરો મળ્યો. રોજ ચોખ્ખું દૂધ પિવાનું ને અહીતહીં દોદાદોડી કરવાની. હવે આમાં થાય એવું કે સવારે મહારાજ પૂજામાં બેસે ત્યારે પણ એ બિલાડી ખોળામાં આવી બેસે, કૂદાકૂદ કરે અને ઢોળફોડ પણ કરે ને આના કારણે શાંતિથી ધ્યાન દઈને પૂજા થાય નહી. એટલે મહાત્મા જ્યાં પૂજામાં બેસતાં ત્યાંથી થોડે જ દૂર એ બિલાડીને ખીંટી સાથે બાંધી દે, પૂજા શરૂ કરતાં પહેલાં બાંધી દે અને પૂજા પડી તુરતજ છોડી નાખે આ રોજનો નિત્યક્રમ.

શિષ્યો રોજ આ તાલ જોયા કરે અને ક્યારેક ગામમાંથી પણ કોઇ આવી ચડ્યું હોય તો એ પણ જૂએ કે મહારાજ પૂજા કરતી વખતે બાજુમાં બિલાડી બાંધે છે!

થોડા વખત પછી ઉંમરના કારણે મહારાજ પ્રભુને પ્યારા થઈ ગયા અને એમના પછી એમનો આશ્રમ સંભાળનાર મુખ્ય શિષ્યે પૂજાની જવાબદારી લીધી અને બિલાડીને બાંધવાની પણ! એ બિલાડી મરી ગઈ તો એની જ્ગ્યાએ બીજી બિલાડી લાવવામાં આવી અને પૂજા વખતે બાંધવામાં આવી, બિલાડી બાંધ્યા વગર તે કાંઇ પૂજા થતી હશે? પછી એ આશ્રમના બીજા શિષ્યો પણ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં આ પૂજા વખતે બિલાડી બાંધવાની પ્રથા પણ ગામે ગામ ગઈ અને આમ આખો બિલાડી બાંધવા વાળો એક સંપ્રદાય ચાલુ થઈ ગયો!

No comments: